Loading...
આપણી આસપાસ અનેક સામયિકો નજરે પડે છેઃશબ્દસૃષ્ટિ, પરબ, બુદ્ધિપ્રકાશ, કુમાર, કવિલોક, નવનીત સમર્પણ, અખંડઆનંદ, જનકલ્યાણ.... વગેરે. સાહિત્યકૃતિ, સ્વરૂપ, વિવેચન આદિ સંદર્ભે અનેક વિશેષ સામયિકો પ્રકાશિત થાય છે. પરંતુ, કેવળ ‘ભાષા’નેવરેલું હોય – એવા સામયિકનો અભાવ વર્તાય છે.
વર્તમાન પરિસ્થિતિમાં આવા એક વિશેષ સામયિકની આવશ્યકતા અનેક લોકોને વરતાઈ રહી છે.ભાષાશિક્ષણ, ભાષાઅભ્યાસ, ભાષાસંશોધન, બોલીઅભ્યાસ, ભાષા અને બોલીના વર્ણનાત્મક – તુલનાત્મક અભ્યાસ વગેરે જેવા અનેક ક્ષેત્રો સંદર્ભે એક વિશેષ સામયિકની જરૂરિયાત છે.
ગુજરાતી ભાષાશિક્ષણના અનેક પ્રશ્નો છે. શિક્ષકો પાસે ઘણી વાર અધિકૃતિ માહિતી નથી હોતી, અધિકૃત માહિતી હોય પણ તેને વિદ્યાર્થી સુધી કેવી રીતે પહોંચાડવી– તેની સમસ્યા હોય, વિદ્યાર્થીનેભાષાભિમુખ કરવો અને તેનું શિક્ષણ આપવું – એ પણ એક મોટી સમસ્યા બની રહી છે. આવા સમયે એક એવું સામયિક એને મળે, જેમાં એને અધિકૃત વિદ્વાનોવિવિધ ભાષાકીય મુદ્દાઓની દ્વારા અધિકૃત માહિતી અને સમજણ મળી રહે, જે-તે મુદ્દાનુંવર્ગશિક્ષણ કેવી રીતે કરવું આદિની માહિતી મળી રહે.
કેટલાય વિદ્યાર્થીઓ –યુવાવર્ગ– સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. એમને ભાષાના પ્રશ્નપત્ર માટે વિગતો સમજવી છે. તે માટે તેઓ બજારમાં મળતી સ્પર્ધાત્મક પરીક્ષાની સામગ્રી ખરીદે છે અથવા યુ-ટ્યૂબ ચેનલ પર લેક્ચરજૂએ છે. પણ સૂંઠનેગાંગડે ગાંધી થઈ બેઠેલા અનેક ‘લેખકો’ અને ‘you-tube teachers’ અનધિકૃત માહિતી– પૂર્વે પ્રકાશિત થયેલી સામગ્રીને આધારે સાચી-ખોટી માહિતી પૂરી પાડે છે. દિવસ-રાત એક કરીને મહેનત કરનાર ઉમેદવારને ખબર નથી હોતી કે એના જવાબ સાચા હોવાનો આધાર શો છે?જેમકે, ‘બજારભાવ’ કયો સમાસ કહેવાય?‘બજારનો ભાવ’– ષષ્ઠી તત્પુરુષ કે ‘બજારમાં ચાલતો ભાવ’– મધ્યમપદલોપી સમાસ?
ભાષાનાઅભ્યાસના ત્રણ તબક્કાછેઃજ્ઞાન– સામર્થ્ય – સૌંદર્ય. પહેલાંભાષાજ્ઞાન હોય. ભાષાજ્ઞાન એટલે માત્ર જોડણી નહીં પણ ભાષાની સંરચના, વ્યવસ્થાની સાચી સમજણ. ત્યાર બાદ ભાષાનાસામર્થ્યનો પરિચય મેળવવો જોઈએ. યોગ્ય શબ્દપ્રયોગ, કથનને સચોટ રીતે વ્યક્ત કરી શકે તેવાપદસંવાદ–વાક્યપ્રકાર, બોલીવૈવિધ્ય, ભાષાના વિશેષ ઘટકોનો પરિચય– વગેરે જેવી અનેક બાબતોથી ભાષાસામર્થ્યને પામી શકાય. જે સચોટ અભિવ્યક્તિ સાધવામાં મદદરૂપ થઈ શકે. ભાષાનો વૈજ્ઞાનિક ઢબે થયેલો અભ્યાસ, ભાષાના વિવિધ ઘટકોનો સંશોધનાત્મક અભ્યાસ પણ ભાષાનાસામર્થ્યનેખોલી આપવામાં મદદરૂપ નીવડે છે.
આવી અનેક બાબતોના ઉકેલ રૂપે માતૃભાષા અભિયાન દ્વારા કેવળ ભાષાને જ વરેલું હોય તેવા સામયિકને પ્રકાશિત કરવાનો પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો છે. વિવિધ ભાષાવિદ્, ભાષાવિજ્ઞાની, અધ્યાપકો, શિક્ષકો, સંશોધકો આદિ પાસેથી લેખોમેળવવામાં આવશે. આવેલા લેખોનુંતજ્જ્ઞો દ્વારા પરામર્શન કરવામાં આવશે.પૂર્વે થયેલા ભાષાવિદ્–ભાષાવિજ્ઞાનીઓનાલેખો પણ લેવામાં આવશે, જેથી સમયાંતરે થયેલી ચર્ચાનો, સંશોધનનોનો લાભ મળી શકે.
ભાષાનાઅભ્યાસકોને એમના સંશોધનો, વિચારો, વર્ણનો ગુજરાતીમાં વ્યકત કરવા માટે કોઈ ફલક નથી મળતો. અથવા અન્ય ભાષામાંનાંલખાણો ગુજરાતીમાં લાવી શકાતા નથી. એમને આ સામયિક દ્વારા (ગુજરાતી) વાચા આપી શકાશે.
આ સામાયિક ગુજરાતી ભાષા ભણાવતા શિક્ષકો, વિદ્યાર્થીઓ, ગુજરાતી ભાષામાં કામ કરતા પત્રકારો તથા ગુજરાતી ભાષામાં રસ ધરાવતા અને તેને સંવર્ધિત કરવા માંગતાતમામને ઉપયોગી થાય તેવી અપેક્ષા છે.
સામયિકને આપના પ્રતિભાવની અપેક્ષા રહેશે. આપના પ્રતિભાવ, આપના પ્રશ્નો આદિ માટે એક પત્રચર્ચાનો વિભાગ પણ સમાવવામાં આવશે.
આ સામયિકોનો ઉદ્દેશ ભાષાજ્ઞાન, ભાષા અંગેની જાગૃતિ કેળવવાનો હોવાથી તેનું નામાભિધાન પણ ઉદ્દેશ અનુસાર કરવામાં આવ્યું છેઃ ‘ભાષાપ્રબોધ’.
આ પ્રથમ અંકમાં આ ઉદ્દેશ્યોનેલક્ષ્યમાં રાખીને ભાષાચિંતન, ભાષાશિક્ષણ, ભાષાવર્ણન, બોલી, ભાષાસંશોધનસંદર્ભેનાલેખો ઉપરાંત ભાષાની સમૃદ્ધિને વ્યક્ત કરતી શબ્દશ્રેણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
માતૃભાષા અભિયાન દ્વારા પ્રકાશિત આ સામયિકનો પ્રથમ અંક આપના હાથમાં મૂકતાં અમે અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ.
- સંપાદકો